કેમેરા પાછળનું અધૂરું સત્ય: સોશિયલ મીડિયા, વાલીઓની જીદ અને મૂંઝાતો શિક્ષક
આજકાલ સોશિયલ મીડિયા પર બે પ્રકારના વીડિયો ખૂબ વાયરલ થતા જોવા મળે છે. એક વીડિયોમાં કોઈ આચાર્ય સવારે શાળાનો ગેટ સમયસર બંધ કરી દે છે, અને બહાર ઉભેલા વાલીઓ હોબાળો મચાવે છે. બીજા વીડિયોમાં શાળા પરિસર કે પોતાનો વર્ગખંડ સાફ કરતા બાળકોનો વીડિયો ઉતારીને એવો દાવો કરવામાં આવે છે કે, "જુઓ, શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે!" એક શિક્ષક તરીકે જ્યારે હું આવા વીડિયો જોઉં છું ત્યારે મન વિચલિત થઈ જાય છે. દીવા જેવી સ્પષ્ટ વાતોને પણ આજે સોશિયલ મીડિયાના ચશ્મા ચડાવીને કેવી રીતે વિકૃત કરવામાં આવે છે, તે ખરેખર ગંભીરતાથી વિચારવા જેવું છે. ૧. સમયપાલન એ બંધન નથી, સંસ્કાર છે વાયરલ વીડિયોમાં આચાર્યની દલીલ તદ્દન યોગ્ય છે કે જો સાડા સાત વાગ્યે પ્રાર્થના શરૂ થતી હોય, તો વિદ્યાર્થીઓએ સમયસર આવવું જ જોઈએ. વારંવાર મોડા આવતા વિદ્યાર્થીઓ આખી શાળાની એકાગ્રતા અને વ્યવસ્થા ભંગ કરે છે. પરંતુ વાલીઓ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે આચાર્ય સાથે ગેરવર્તણૂક કરે છે. અહીં સવાલ એ થાય છે કે આ પરિસ્થિતિમાં બાળક શું શીખશે? બાળક મનમાં એવું જ ગ્રહણ કરી લેશે કે: "હું ગમે તેવી ભૂલ કરીશ, નિયમો તોડીશ, તો પણ મારા વાલી મારી પડ...